શહેરના ફલાયઓવર પર લાગશે સાઉન્ડ બેરિયર!
ઠક્કરનગર અને ઇન્કમટેક્સ ફલાયઓવર સાઉન્ડપ્રૂફ બન્યા!
.gif)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વાહનોના ઘોંઘાટથી લોકોને બચાવવા માટે નવતર પ્રયોગ!
અમદાવાદમાં વધતી વસ્તી અને વસ્તી દ્વારા વપરાતા વાહનોના લીધે શહેરમાં ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો તથા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા ફલાયઓવરની આસપાસમાં રહેતા લોકો આ ધ્વનિ પ્રદૂષણથી પરેશાની વેઠી રહ્યા હોય છે. તે મુદ્દાને ધ્યાનમાં લઈ પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ફલાયઓવર બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરી છે.
શહેરના ઠક્કરબાપાનગર અને ઇન્કમટેક્સ બ્રિજ ઉપર હાલ આ સાઉન્ડ બેરિયર લગાવાયા છે.
વર્ષ 2023-2024ના બજેટમાં બંને ફલાયઓવર બ્રિજ પર ₹1.25 કરોડના ખર્ચે પ્રાયોગિક ધોરણે સાઉન્ડ બેરિયર લગાવવાની દરખાસ્ત રોડ કમિટીએ મંજૂર કરેલ હતી. જે મુજબ બંને બ્રિજ ઉપર કામ શરૂ થઇ ગયું હતું. અત્રે ઠક્કરબાપાનગર ફલાયઓવર બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં ઇન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ પર 80% જેટલું કામ પૂરું થઈ ગયું છે.
.png)
આ બ્રિજ પર લાગેલા સાઉન્ડ બેરીયરના સારા પરિણામ બાદ AMC આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોના સર્વે કરીને જે એરિયાઓમાં ફલાયઓવર આસપાસ વધુ રહેણાંક વિસ્તાર, હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થાઓ અને કોમર્શિયલ સંસ્થાઓ હશે તેવા વિસ્તારોના ફલાયઓવર પર આવા સાઉન્ડ બેરિયર લગાવાશે.
સિટીમાં અંજલી ફલાયઓવર અને નિર્માણાધીન પલ્લવ ફલાયઓવર બ્રિજ પર ટૂંક સમયમાં આવા સાઉન્ડ બેરીયર્સ લાગી શકે છે.
સાઉન્ડ બેરિયર કેવી રીતે મદદ કરશે ?
ગેલ્વેનિયમના બે પતરા વચ્ચે રોકવુલ મટિરિયલ મૂકી સાઉન્ડ બેરિયર બનાવવામાં આવે છે.
જે તેની તરફ આવતા બધા ધ્વનિ તરંગોને શોષી લે છે. જેથી વાહનનો મોટા ભાગનો અવાજ દબાઈ જશે.
મ્યુનિ તરફથી ગ્રીનવેન્ટ ઓર્કોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને આ સાઉન્ડ બેરિયર બનાવવાનો કોન્ટ્રેક્ટ અપાયો છે.
શહેરમાં હાલ એસ.જી હાઇવે પર લાગેલા સાઉન્ડ બેરીયર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લગાવાયા છે. સિટીની અંદરના વિસ્તારમાં AMCનો આ પ્રથમ પ્રયોગ છે.